Hot Posts

6/recent/ticker-posts

ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ પટેલને વર્ષ-2012માં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ પટેલને વર્ષ-2012માં રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના બાળકોને પોતાના ગણી શિક્ષણ આપનારા ચીખલી તાલુકાના ખાંભડા પ્રા.શાળાના શિક્ષકને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડથી સન્માનિત  અનેક યુવાનોની કારકિર્દીમાં રમેશભાઇ પટેલનું યોગદાન.


કવિ મકરંદ દવેની એક મશહૂર પંકિત છે. ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.” અત્યારે લોકોમાં એવી માન્યતા છે માણસને ગમતું કામ મળી જાય કે ગમતી સરકારી નોકરી મળી જાય પછી લોકો પરિવાર સાથે એશ આરામની જીંદગીના સપના જોવા લાગે છે.  પરંતુ બધે જ એવું નથી બનતું.  કવિની કૃતિ મુજબ ગમતા કાર્યને સમાજમાં વહેંચીને મદદરૂપ થનારા પણ છે.  કોઇને ગમતી નોકરી મળી જાય પછી વિશેષ સમાજ સેવા કરીને પ્રેરણાનું ઝરણું બનીને સેવાનો ભેખ ધરનારા પણ છે. દેશના શ્રેષ્ઠુ  અને સંનિષ્ઠવ નાગરિકોના ઘડતરમાં પ્રાથમિક શાળાના શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે.સારા અને સમર્પિત શિક્ષકોથી સરકારી શાળામાં ભણીને અનેક યુવાનોની કારકિર્દી ઉજજ્વળ બની છે. 


 નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામના શિક્ષક ૧૯૯૦થી કારકિર્દીનો શુભારંભ કરનાાર અને છેલ્લા ૧૮ વર્ષથી ખંભાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણમાં ઓતપ્રોત એવા શ્રી રમેશભાઇ જે.પટેલે તેમની શાળા અને બાળકોને પોતીકા ગણીને પ્રેમ,હૂંફ અને શિક્ષણ આપ્યું છે. સરકારી નોકરી મળ્યા પછી એશઆરામી ફરમાવવાના બદલે કેટલોય ભોગ આપીને બાળકોને તેજસ્વી બનાવનારા શ્રી રમેશભાઇ પટેલને વર્ષ ૨૦૧૧માં રાજય શ્રેષ્ઠ શિક્ષક અને વર્ષ ૨૦૧૩નો રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવીને નવસારી જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યુ છે. શિક્ષણ સિવાયની વાત કરીએ તો શ્રી રમેશભાઇએ બેસ્ટ બી.એલ.ઓ.નો એવોર્ડ જિલ્લા કલેકટરશ્રી સંધ્યા ભુલ્લરના હસ્તે મેળવ્યો છે. 




શ્રી રમેશભાઇના પત્નિ લીલાવતી બહેન પટેલ પણ ખંભાડામાં જ શિક્ષકા છે. આ દંપતિએ  ખંભાડા ગામના આદિવાસી બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષણની જયોતને પ્રજવલ્લિત કરી છે. આ દંપતિએ આદિવાસી બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી ઉપાડીને તેઓના જીવનમા ઉજાશ પાથરાવાનું મહાનકાર્ય કર્યું છે. શ્રી રમેશભાઇ પટેલને ત્રણ સંતાનો છે. તેઓના સંતાનો ખંભાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. તેમની મોટી દિકરી નિલીમાબહેને બી.એસ.સી.નર્સીંગનો અભ્યાસ કરી સ્ટાફ નર્સ તરીકે કાંગવઇ ખાતે ફરજ બજાવે છે. તેઓની બીજી દિકરી જાગૃતિબહેને બી.એસ.સી.નર્સીંગનો અભ્યાસ કરીને વલસાડ ખાતે ટયુટર તરીકે ફરજ બજાવે છે તથા તેમનો નાનો દિકરો ઋત્વિક વલસાડ ખાતે મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. 



શ્રી રમેશભાઇ પટેલ ૨૦૦૧થી ખંભાડામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ શાળામાં બાળકો માટે શિક્ષણની આધુનિક સુવિધા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓને જનભાગીદારી માટે પ્રેરીત કરીને  દાન મેળવી શાળાની વિવિધ સુવિધાઓ ઉભી કરાવી છે. 

જેમાં ૨૦૦૧માં માણેકપોર ગામના મુસ્લિમ દાતા શ્રી મુરાદભાઇ ઇસ્માઇલભાઇ પટેલ (લંડન) તરફથી  રૂ.૫૫ હજારનું દાન મેળવીને શાળામાં પીવાના પાણીની ટાંકી તથા બોરની સુવિધા પ્રાપ્ત થઇ હતી. તે સિવાય દરવર્ષે પ્રજાસત્તાક દિને ગામ તરફથી રોકડ સહાય તથા સેવામાં ગ્રામજનોનો સહકાર મળી રહે છે. 



 શ્રી રમેશભાઇ પટેલે કહ્યું હતું કે, શિક્ષકદિનના દિવસે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે  રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી, માનવ સંશાધન મંત્રાલયના અધ્યક્ષ તથા મંત્રી શ્રી શશી થરૂર તથા મંત્રીશ્રી જીતેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયો હતો. શાળામાં ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય, સહ અભ્યાસિક પ્રવૃતિનું આયોજન, ગુણવત્તાયુકત શિક્ષણકાર્ય, આનંદદાયક પ્રવૃતિલક્ષી અભિગમ, ઉત્કૃષ્ટ વર્ગવ્યવહાર, અને શૈક્ષણિક વર્ગ હવામાન માટે બોલતી દિવા પર કઠિન બિંદુઓનું નિરૂપણ, વિષયવસ્તુના સરળીકરણ માટે ટીએલએમ નિર્માણ, અભિનય-સંવાદ, ગીત દ્વારા ક્રિયાત્મક અભિગમ વગેરે કાર્યની સરાહના થઇ છે. વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, રમતોત્સવ, તરૂણ મહોત્સવમાં ખાંભડા પ્રાથમિક શાળાનો પ્રતિવર્ષ ઉત્કૃષ્ઠ દેખાવ રહયો છે. આજ દિન સુધીમાં ૧૦૦ જેટલા શિલ્ડ મેડલો, પ્રમાણપત્રો, પ્રશસ્તિપત્રો મેળવ્યા છે.  

શાળાના શિક્ષણ વિશે આચાર્યશ્રી અલ્પાબેન પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, શાળામાં ધોરણ-૩થી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં ઇન્ટરનેટની સુવિધા છે. પ્રોજેકટર દ્વારા શિક્ષણ અપાય છે.  પ્રોજેકટ વર્ક કરાવવામાં આવે છે. માસિક કસોટી યોજવામાં આવે છે. તેનું ડોકયુમેશન કરવામાં આવે છે. બાળકો માટે સંસદિય પ્રવૃતિ, વિજ્ઞાન પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ટેવ નાનપણથી કેળવાય તે માટે ખાસ કાળજી લેવામાં આવે છે.  ૧૦૦ ટકા નામાંકન, ૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. ૨૦૦૧થી આજ સુધીમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ કરી રહ્યા છે. તે સિવાય એક એમ.ડી. ડોકટર બનીને શાળાનું ગૌરવ અપાવ્યું છે.

વધુમાં અલ્પાબહેને જણાવ્યું હતું કે,  વિજ્ઞાન ગણિત પ્રદર્શન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ ૧ વાર તથા રાજયકક્ષાએ ૬ વાર કૃતિ રજુ કરી છે. ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ ખંભાડા પ્રાથમિક શાળાએ કરેલ છે. છેલ્લા બે વર્ષથી ગુણોત્સવમાં શાળા A+ મેળવે છે. NMMS કસોટીમાં શાળાના બે વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું છે. શિષ્યવૃતિની પરીક્ષા, ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા જનરલ નોલેજની કસોટીમાં ધોરણ ૫ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ ભાગ લે છે. હિન્દી પ્રથમ, દુસરી અને તૃતિય માટેનું  સેન્ટર શાળામા ઉપલબ્ધ છે. તેમજ વર્ષ ૨૦૧૭-૧૮માં શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ મળ્યો છે.  



(સંકલનઃ- રાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક, નવસારી)

Post a Comment

0 Comments